અમદાવાદ : રાજ્યમાં કમોસમી વરસાદનાં કારણે (Unseasonal Rains) પાક નુકસાનીનો સામનો કરી રહેલા ખેડૂતો દ્વારા રાજ્ય સરકાર પાસે સહાય પેકેજ જાહેર કરવા માગ કરાઈ રહી છે. સરકારે પણ ખેડૂતોની સ્થિતિ સમજી સરવે સહિતની યોગ્ય કામગીરી હાથ ધરી છે. પરંતુ, આ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા રાજ્યનાં વિવિધ શહેરોમાં ‘કિસાન મહાપંચાયત’ નું આયોજન કરવામાં આવ્યું છે. 9 નવેમ્બરે ખંભાળિયાનાં ભાણવડમાં જ્યારે 11 નવેમ્બરે ગીર સોમનાથમાં કિસાન મહાપંચાયત યોજાશે તેમ AAP ના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જાહેરાત કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યમાં માવઠાની માર સહન કરી રહેલા ખેડૂતો માટે સરકાર (Gujarat Government) જલદી યોગ્ય રાહત પેકેજ જાહેર કરે તેવી માગ સાથે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા રાજ્યનાં વિવિધ શહેરોમાં ‘કિસાન મહાપંચાયત’ નું આયોજન કરવામાં આવ્યું છે. AAP ના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ માહિતી આપતા જણાવ્યું કે, 9 નવેમ્બરે ખંભાળિયાનાં (Khambhaliya) ભાણવડમાં જ્યારે 11 નવેમ્બરે ગીર સોમનાથમાં કિસાન મહાપંચાયત યોજાશે. તેમણે કહ્યું કે, ઉ. ગુજરાત, દ. ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મહાપંચાયત યોજાશે.
AAP ના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ કહ્યું કે, સરકાર લોલીપોપની માનસિકતામાંથી બહાર આવી નથી. મહારાષ્ટ્રમાં ખેડૂતોનાં દેવા માફીની જાહેરાત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં મહારાષ્ટ્ર કરતા પણ ખેડૂતોની હાલત ખરાબ છે. મહારાષ્ટ્રમાં સરકાર દેવું માફ કરી શકે તો ગુજરાતમાં કેમ નહીં? ગુજરાતનાં ખેડૂતોનું પણ દેવું માફ કરવામાં આવે તેવી અમારી માગ છે.